શ્રાવણના ફરાળમાં સૌથી વધુ વપરાતા મોરૈયાના ભાવમાં કિલોએ રૂા. 20 નો વધારો : સિંધવ મીઠું પણ બમણું મોંઘું

શ્રાવણના ફરાળમાં સૌથી વધુ વપરાતા મોરૈયાના ભાવમાં કિલોએ રૂા. 20 નો વધારો : સિંધવ મીઠું પણ બમણું મોંઘું
વડોદરા. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ માસમાં લોકો ફરાળી ચીજવસ્તુઓ આરોગતા હોય છે. જોકે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ચીજવસ્તુઓના ભાવો સ્થિર રહ્યા છે. મોરૈયો અને સિંધવ મીઠાના ભાવમાં વધારો થયો છે. જોકે સીંગદાણા, સાબુદાણા સહિતની અન્ય ચીજવસ્તુઓના ભાવમાં કોઇ વધારો થયો નથી. પરંતુ તેમ છતાં આ વર્ષે વેચાણ 20 ટકા ઓછું રહેશે તેવો વેપારીઓનો અંદાજ છે.
સિંધવ મીઠાના ભાવમાં બે ગણો વધારો થયો
કોરોના મહામારીમાં થયેલા લોકડાઉન બાદ શરૂ થયેલા બજારોની રોનક ઉડી ગઈ છે. લોકો કોરોનાના કારણે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે બજારોમાં ખરીદી પર અસર પડી રહી છે. આજથી પવિત્ર તહેવાર શ્રાવણ માસ શરૂ થયો છે. શ્રાવણ માસમાં લોકો ઉપવાસ રાખી ફરાળી ચીજવસ્તુઓ આરોગતા હોય છે. અને તેથી બજારોમાં ફરાળી ચીજવસ્તુઓનું વેચાણ સારું એવું થતું હોય છે. જોકે હાલમાં અનલોકમાં લોકોની ખરીદ શક્તિ ઘટી છે. વડોદરા એપીએમસીના ડિરેકટર અને એસોસિએશનના કારોબારી સભ્ય જય ખીલનાનીએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં શ્રાવણ માસમાં ફરાળી ચીજવસ્તુઓ જેવી કે સાબુદાણા, સીંગદાણા, મોરૈયો, રાજગરો, શિંગોડા અને બટાકાની કાતરીનો ઉપાડ રહેતો હોય છે. પરંતુ આ વર્ષે ગત વર્ષની સરખામણીએ વેચાણ 20 ટકા જેટલું ઓછું રહેશે તેવો અંદાજ છે. સાબુદાણા, સીંગદાણા, રાજગરો અને શિંગોડાના ભાવ ગત વર્ષની સરખામણીએ સ્થિર છે. પરંતુ મોરૈયો ભાવમાં રૂ. 15થી 20નો વધારો થયો છે. જ્યારે સિંધવ મીઠાના ભાવમાં બે ગણો વધારો થયો છે.
ફરાળી ચીજવસ્તુઓના ભાવ
વસ્તુ | ગત વર્ષેના ભાવ | હાલના ભાવ |
મોરૈયો | 60- 80 | 80- 95 |
સાબુદાણા | 50- 60 | 50- 60 |
સીંગદાણા | 80- 100 | 80- 100 |
રાજગરો(આખો) | 62- 80 | 60- 80 |
રાજગરો(લોટ) | 110- 20 | 110- 120 |
શિંગોડા(આખા) | 120 | 120 |
શિંગોડા(લોટ) | 160 | 160 |
સિંધવ મીઠું | 20- 25 | 50- 60 |
બટાકાની કાતરી | 75- 100 | 75- 100 |